રવિવાર, 21 માર્ચ, 2010

અમો ખાબોચિયાં!


મહેંકતાં ગુલાબ સૌ ને પ્યારા જ હોવાનાં.
સાથે કંટકોથી યે પનારા જ હોવાનાં.

પૂર્ણ પ્રકાશ કદી ફેંલાશે નહિં દુનિયામાં,
દીપક તળે હંમેશા અંધારા જ હોવાનાં.

કોણ કહે છે અત્યાચાર લોકોને ગમે છે?
અંતર તો સૌ ના સિસકતા અંગારા જ હોવાનાં.

વહે છે અમારી આંખમાં થી, એથી શું થયું?
વહેતાં એ વ્યથાશ્રુ તો તમારા જ હોવાનાં.

કહેવું સહેલું છે, કરવું ખૂબ જ અઘરું છે,
આંસુ અન્યનાં લુંછવા આકરાં જ હોવાનાં.

પ્રેમ હશે તો વળી ભવ-સાગર તરી જશું,
નહિતર મઝધારથી ય ઊંડા કિનારા જ હોવાનાં.

અમે વિશાળતાનો ભલે ને ગમે તેવો ઢોંગ કરીએ,
ખાબોચિયાં તો આખરે છીંછરા જ હોવાનાં.

રાજેશ જોશી "આરઝુ"

ગુરુવાર, 11 માર્ચ, 2010

...રે પરદેશી પંખીડા!


(તસ્વીર - આભપરો, ૦૮/૧૨/૨૦૦૮)

ફરી ક્યારેક મારે ગામ આવજો, રે પરદેશી પંખીડા!
સાથે સ્મરણો બે-ચાર લાવજો, રે પરદેશી પંખીડા!

એ માળામાં હવે કોઈ કિલ્લોલ ગુંજતો નથી અહીં,
મીઠા ટહુકા એમાં રેલાવજો, રે પરદેશી પંખીડા!

ઉડી ગયા છો આપ જ્યારથી કોઇ ઉંચે આકાશ,
રડે છે કોઇ ત્યારથી યાદ એ રાખજો, રે પરદેશી પંખીડા!

ઉડો ભલે પાંખો પ્રસારી, સાતમે આશમાન તમે,
ક્યારેક આ ડાળીએ નજર નાખજો, રે પરદેશી પંખીડા!

વંટોળીયો આવશે 'ને પિંખાઈ જશે આ માળો 'આરઝુ'
જો! જો! તમે મોડા ના પડજો! રે પરદેશી પંખીડા!


રાજેશ જોશી "આરઝુ"
Share/Bookmark

આપનો પ્રતિભાવ

Select your language from top right corner you will see language list